ઢબુડી માં એટલે કે ગાંધીનગરના રૂપાલ ગામનાં ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયો છે. થોડા સમય પહેલા ઢબુડીમાં વિવાદમાં રહ્યા હતા અને હાલ પણ તેની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત ચાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાંધેજાની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ દ્વારા માતાજીનું મંદિર બનાવી આ જમીન પચાવી લેવાઈ હતી. જે અંગે ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દાખલ થતા જ ઢબુડી માં બનવાનો ઢોંગ કરતા ધનજી ઓડ પરિવાર સાથે ગાયબ થઇ ગયા છે. વિવાદાસ્પદ ઢબુડી માં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
સરગાસણ શ્રીરંગ પાર્ક સોસાયટી ખાતે રહેતા મિલનકુમાર વિષ્ણુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે, તેમણે રાંધેજા ગામની રીસર્વે નંબર 1934 અને 1936 વાળી જમીન મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જે માટે નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવી હતી. 1934 સર્વે વાળી જમીનનો 28.25 લાખ રૂપિયા નક્કી કરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.
1936 સર્વે વાળી જમીનનો 13 લાખમાં સોદો નક્કી કરી દસ્તાવેજ કરીને નોંધ પડાવતાં સુરેશભાઈ રતિલાલ પટેલ દ્વારા બાના ચીઠ્ઠી રજૂ કરી તકરાર દાખલ કરાવવામાં આવી હતી. જોકે આ નોંધને પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સુરેશભાઈ પટેલની માલિકીની સર્વે નંબર 1935 ની જમીન તેમજ તેમના પણ બન્ને સર્વે નંબર ઉપર કંપાઉન્ડ વોલ કરીને ઢબુડી મા ઉર્ફે ધનજી નારણભાઈ ઓડએ ફુલબાઈ માતાજીનું મંદિર બનાવીને જમીન પચાવી પાડી હતી.
ઢબુડી માં ઉર્ફે ધનજી ભાઈ ઓડ પર આ મામલે ગાંધીનગર કલેકટર કચેરીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ ગુનો નોંધાતા તે તેની પત્ની અને પુત્ર સાથે ફરાર થઇ ગયા છે. ચાંદખેડાનાં બંગલે પણ તપાસ કરાઈ હતી, પરંતુ કોઈનો પત્તો મળ્યો નથી. હાલ પોલીસ તેમને શોધવા માટે કાર્ય કરી રહી છે.