અંકલેશ્વરના નેશનલ હાઇવેની બાજુમાં ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલન યોજાયું હતું. જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં રક્તદાન કેમ્પ થકી એકત્ર થયેલ રક્ત દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની રક્ત તુલા કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં પહેલા નોટોનો વરસાદ થતો હોય છે. પરંતુ અહીં તો ગોળીઓનો વરસાદ પણ થયો છે. નોટોના વરસાદ વચ્ચે એક શખ્સે હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ગાયક કલાકાર પણ ડઘાઈ ગયા હતા. ફાયરિંગ કરનાર આ શખ્સનું નામ વિક્રમ ભરવાડ છે.
ઉલ્લેખનીય છે કે લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની એ સમયે પ્રદેશ અધ્યક્ષ હાજર નહોતા. આ ધર્મ સંમેલનમાં વડતાલ ધામ સત્સંગ મહાસભા પ્રમુખ નૌતમ સ્વામીએ પ્રવચન રજૂ કર્યું હતું. એ બાદ રાતે લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં લોકગાયક કીર્તિદાન ગઢવી, ઋષિ અગ્રવાલ, દિલીપ પટેલ અને જિજ્ઞેશ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી.
જ્યારે કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો ચાલી રહ્યો હતો ત્યારે ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. એક યુવક ચાલુ ડાયરામાં ફાયરિંગ કરી રહ્ય હતો. જ્યારે અન્ય યુવક રૂપિયા ઉડાડી રહ્યો હતો. ફાયરિંગની ઘટનાને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ધર્મ સંમેલનમાં સંરક્ષણ હિન્દુ ધર્મ સેના ગુજરાતના માધવપ્રિય સ્વામી અને સંતો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તતુલા કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું. રક્તદાન થકી પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની તુલા કરવામાં આવી હતી.